BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડનો મામલો અમેરિકામાં જોર પકડી રહ્યો છે. આ ઘટનાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. ન્યૂયોર્કના મેલવિલેમાં બનેલી આ ઘટના સામે ભારતે વાંધો ઉઠાવ્યો છે. એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આવી ઘટનાઓ ‘અસ્વીકાર્ય’ છે. હાલ આ મામલે તપાસ ચાલી રહી છે. પોલીસે આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.
ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યુલેટે સોમવારે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘ન્યૂયોર્કના મેલવિલેમાં BAPS સ્વામિનારાયણ મંદિર પાસે સાઈન બોર્ડને તોડી પાડવાની ઘટના અસ્વીકાર્ય છે.’ અને આ જઘન્ય કૃત્યના ગુનેગારો સામે તાત્કાલિક પગલાં લેવા માટે આ બાબત કાયદા અમલીકરણ એજન્સીઓના અધિકારીઓ સાથે ઉઠાવવામાં આવી છે.
મેલવિલે સફોક કાઉન્ટી, લોંગ આઇલેન્ડમાં સ્થિત છે અને નાસાઉ વેટરન્સ મેમોરિયલ કોલિઝિયમથી લગભગ 28 કિલોમીટર દૂર છે, જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બરે એક સમુદાયના કાર્યક્રમને સંબોધિત કરવાના છે. સોશિયલ મીડિયા પર સામે આવેલા ફૂટેજ અનુસાર, મંદિરની બહાર રોડ પર સ્પ્રે પેઇન્ટથી વાંધાજનક શબ્દો લખવામાં આવ્યા હતા. હિંદુ અમેરિકન ફાઉન્ડેશને ‘X’ પર એક પોસ્ટમાં કહ્યું કે ન્યાય વિભાગ અને હોમલેન્ડ સિક્યુરિટી વિભાગે આ ઘટનાની તપાસ કરવી જોઈએ.
હિંદુ-અમેરિકન ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર એ કહ્યું, ‘એક ચૂંટાયેલા નેતા પ્રત્યે ગુસ્સો દર્શાવવા માટે હિંદુ મંદિર પર હુમલો કરનારાઓની કાયરતા સમજવી મુશ્કેલ છે. હિંદુ અને ભારતીય સંસ્થાઓને મળેલી તાજેતરની ધમકીઓ પછી થયેલા આ હુમલાને એ જ સંદર્ભમાં જોવો જોઈએ.